આ અંગવસ્ત્રના લીધે હું મંઝીલથી ભટકી ગયો!!
નાનપણમાં સ્કૂલની લાઈબ્રેરીમાં મેં એક વાર્તા વાંચી હતી.. આજે અચાનક જ એ વાર્તા યાદ આવી..જીવનમાં ઘણાં નિર્ણયો આપણે જે લેવા જોઈએ તે નથી લેતા પરંતું પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારી તેમાં આપો આપ ખૂંપી જઈએ છે.. આવું કેમ થાય છે કદાચ તનો જવાબ આ વાર્તામાં મળી જશે...
એક યુવાન જીવનથી કંટાળી ગયો હતો.. હોશિંયાર હતો પણ ખબર નહોતી પડી રહી કે જીવનમાં શું કરવું.. પારિવારિક જીવન જીવતાં લોકોના જીવનની તકલીફ જોઈને તેેને સંન્યાસ લેવાનું મન થયું... તે એક સંત પાસે ગયો અને કહ્યું, “હે મહારાજજી, હું સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ લેવા માગું છું... આપ મને આપની શરણમાં લો મને આપનો શિષ્ય બનાવો અને મને દિક્ષા આપો..”
મહારાજજી એ મંદ મુસ્કાન સાથે બે મિનિટ મૌન જ રહી પછી જવાબ આપ્યો… “શું તને લાગે છે સંન્યાસી થવું આટલું સહેલું છે?.. પહેલા મારે તારી કસોટી લેવી પડશે.. જો તું એમાં ખરો ઉતરીશ તો જ હું તને દીક્ષા આપીશ અને સંન્યાસી તરીકે માન્યતા અપાવીશ... જા ગામની બહાર જંગલમાં મારી એક ઝૂંપડી છે 45 દિવસ સુધી ત્યાં જ રહેજે હું તને ત્યાં મળવા આવીશ..”
જેવી આપની આજ્ઞા એમ કહીં તે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો અને માત્ર એક જોડી હરણના ચામડાંનું અંગવસ્ત્ર લપેટી તે ઝૂંપડીમાં રહેવા લાગ્યો …
સવારે ઉઠીને જોયું તો ઉંદરોએ તે અંગવસ્ત્ર કોતરી ખાધું હતું.. તે ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યો ત્યારે ગામ વાળા પાસે તેણે બીંજુ અંગવસ્ત્ર માંગ્યું. ગામલોકોએ તેને આપ્યું.
પણ સતત ત્રણ દિવસ સુધી આમ ને આમ ચાલ્યું આથી ગામ વાળાએ સુઝાવ આપ્યો કે રોજ નવું અંગ વસ્ત્ર તો કેવી રીતે આપીએ એક કામ કરો લો આ એક બિલાડી રાખો તે ઉંદર ખાઈ જશે…
યુવાન ખુશ થઈ પછો ઝૂપડી પર ગયો..પણ વિચાર આવ્યો કે બિલાડીને પીવડાવવા માટે દૂધ તો જોઈશેને.. તે ભિક્ષા માંગવા ગયો ત્યારે બિલાડી માટે દૂધ પણ માંગ્યું.. આમ ત્રણ - ચાર દિવસ ચાલ્યું..આથી ગામ વાળાએ કહ્યું રોજ અમે તમને દૂધ આપીએ એના કરતાં લો આ એક ગાય રાખી લો એટલે તેનું દૂધ બિલાડી અને તમે બન્ને પી શકશો.
યુવાન રાજી થતો થતો ઝૂંપડી ઉપર ગયો..પણ વિચાર આવ્યો કે ગાયને ખવડાવવા માટે ઘાસ તો જોઈશેને.તે ભિક્ષા માંગવા ગયો ત્યારે ગાય માટે ઘાસ પણ માંગ્યું.આમ ત્રણ-ચાર દિવસ ચાલ્યું.. આથી ગામ વાળાએ ક્હયું રોજ અમે તમને ઘાસ આપીએ એના કરતાં ઝૂંપડીની આસપાસ જ થોડી ઘાસ અને શાકભાજી ઉઘાડી લો ને.. ગામના બે જણ આવીને તમને મદદ કરશે..
ગામના બે જણ ત્રણ ચાર દિવસ તો આવ્યા પણ પછી તેમણે ઉપાય આપ્યો કે રોજ રોજ તો અમે કેવી રીતે આવીએ એના કરતાં એક સારી યુવતી જોઈને તેની સાથે લગ્ન કરી લો ને.
યુવકે બે ત્રણ દિવસ તો આમ તેમ આંટા ફેરા ખાધા પણ પછી તેણે ગામની જ એક યુવતી સાથે લગ્ન કરી લીધા.
45 દિવસ પૂરાં થયા.. મહારાજજી તે યુવાનને મળવા ઝૂંપડી ઉપર આવ્યાં..યુવાને તો આખો ઘર સંસાર માંડી લીધો હતો.. મહારાજજી ની આંખો પહોળી થઈ ગઈ.. તેમણે કડક અવાજે તે યુવાનને પુછ્યું અરે આ શું છે?..તું તો સંન્યાસી બનવા માંગતો હતો ને!?
યુવકે ગભરાંતા ગભરાંતા આંખો ઉંચી કરીને કહ્યું કે, “મહારાજજી આ બધું જ જે મેં આ અંગવસ્ત્ર પહેર્યું છે ને એના લીધે થયું...”
કઈંક આવાજ વિમાસણમાં આપણે જીવનના ઘણાં પડાવોમાંથી પસાર થઈ છીએ અને પોતાના મૂળ ધ્યેયથી ભટકી રસ્તામાં મળતાં પ્રલોભનો અને મુશ્કેલીમાં અટવાઈ પડીએ છીએ.. સફળ લોકો અને સામાન્ય લોકોમાં બસ આજ તફાવત છે..તે પોતાની મંઝીલ સુધી પહોંચતા વચ્ચે આવતી દરેક સ્થિતિને સીડી બનાવી ઉપર ચડી જાય છે.. જ્યારે સામાન્ય માણસ રસ્તમાં ઠંડી લાગતા તે સીડીના પગથિયાંની તાપણી કરી નાખે છે અને ક્યારે મંઝીલ સુધી પહોંચી નથી શકતો..
જય હિંદ
શોર્ટ સર્કિટ - (ફેસબુકની મદદથી પૈસા કમાવવા છે.. તો અકાઉન્ટ સેટિંગ્સમાં જાઓ અને લોગ આઉટ બટન પર ક્લિક કરો)
Picture Source - Internet
Get in Touch - vijayshah113@gmail.com
Comments
Post a Comment